શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિર,મણિનગરમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાર્વભૌમ નાદવંશીયપરંપરાના તૃતીય વારસદાર નીડર સિદ્ધાંતવાદી સદ્‌ગુરુ શ્રી ઇશ્વરચરણદાસજી સ્વામીબાપાની ૧૫૬ મી પ્રાગટ્ય જ્યંતીની ઉલ્લાસભેર ઉજવણી કરાઈ ...

 શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિર,મણિનગરમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાર્વભૌમ નાદવંશીયપરંપરાના તૃતીય વારસદાર નીડર સિદ્ધાંતવાદી સદ્‌ગુરુ શ્રી ઇશ્વરચરણદાસજી સ્વામીબાપાની ૧૫૬ મી પ્રાગટ્ય જ્યંતીની ઉલ્લાસભેર ઉજવણી કરાઈ ...

સમસ્ત ભારતમાં પણ ગુજરાત એક એવી ભૂમિ છે કે અનેક અવતારોનાં પગલાંથી પાવન થયેલી છે. સર્વોપરી સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનનાં પાવન ચરણોથી ગુજરાતની ધરા પાવન થઈ. શ્રી સ્વામિનારાયણ ભગવાનના વિચરણના પ્રતાપે અનેક મુમુક્ષુઓ પાવન થયાં. એમાંનું એક ગામ તે અસલાલી. જે અમદાવાદ મહાનગરથી બાર કિલોમીટર દૂર વસેલું છે. આ અસલાલી ગામમાં સંવત ૧૮૮૨ના ચૈત્ર સુદ બીજ, તારીખ ૯/૪/૧૮૨૬ ને રવિવારે શ્રીજીમહારાજના પાવન પગલાં પણ થયા હતા.


શ્રી સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય સંકલ્પને સાકાર કરવા અમથા ભગત અને જીબાબા ગૃહે, પુત્રરૂપે પ્રગટ થયા શ્રી સ્વામિનારાયણ ભગવાનની સાર્વભૌમ નાદવંશીય પરંપરાના તૃતીય વારસદાર નીડર સિદ્ધાંતવાદી, વચનામૃતના આચાર્ય સદ્‌ગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીબાપા. સંવત ૧૯૨૩ની વૈશાખ વદ ચોથ, તારીખ ૨૨/૫/૧૮૬૭ ને બુધવારે પ્રાગટ્ય થયું અને પૃત્રરત્નનું નામાભિધાન બહેચરભાઈ કર્યું. આપણા શ્રી બહેચરભાઈ તો સમગ્ર કારણ સત્સંગી ભાગને યાવતચંદ્રદિવાકરો મહેંકતો મઘમઘતો રાખવા માટે પધાર્યા છે. બાલ્યકાળથી જ ભક્તિમય જીવન જીવતાં અને બાળચેષ્ટા સામાન્ય જનોને ન સમજાય એવી અલૌકિક હતી. અભ્યાસમાં એમનું અસાધારણ કૌશલ્ય હતું અને ઉત્સુકતા પણ અનેરી હતી. કંઠ ઘેરો, દૃઢાવવાળો અને સ્પષ્ટ ઉચ્ચારવાળો હતો. તેથી ગામના સત્સંગીઓ રોજ સાંજની કથા તેમની પાસે જ કરાવતા. એ વક્તૃત્વ શક્તિ ભલભલાને આશ્ચર્યચકિત કરી દેતી હતી. એમની વાણી, વર્તનથી એટલું તો સમજતા હતા કે શ્રી બહેચરભાઈ આ લોકના માનવ નથી . એક સમયે અજોડમૂર્તિ સમર્થ સદ્‌ગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામીબાપા જેતલપુર જતા અસલાલી મંદિર પધાર્યા. એ જ અવસરે સદ્‌ગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામીબાપા અને મહામુક્તરાજ શ્રી બેચરભાઈનું અદ્દભુત મિલન સર્જાયું. સંધ્યા આરતી બાદ કથાનો સમય થયો હતો. રોજ શ્રી બહેચરભાઈ કથા કરતા અને આજે પણ તેમણે કથા કરી. શ્રી બહેચરભાઈ વિનમ્રભાવે કથા કરતા રહ્યા ને સદ્‌ગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામીબાપા ડોલતા રહ્યા. સર્વે સભાજનોએ કથારસની સાથે અદ્ભુત સ્નેહ મિલનનો આસ્વાદ માણ્યો. પછી શ્રી બચેરભાઈએ બાપાને પ્રાર્થના કરી, હે સદ્‌ગુરુવર્ય! મારા પિતાશ્રી ખુબ બિમાર છે, તો આપશ્રી કૃપા કરી તેમને દર્શન દેવા અમારે ઘેર પધારો. બીજે દિવસે સવારે સદ્‌ગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામીબાપા સંતો સાથે અમથા ભગતને પૂર્ણકામ કરવા તેમને ઘેર પધાર્યા. સદ્‌ગુરુબાપાનાં દર્શન થતાં અમથા ભગતને રોગનું દુઃખ વિસરાઈ ગયું. આ રીતે અમથા ભગતે ગદ્દગદ કંઠે બોલ્યા, મારા બાપજી બહુ કૃપા કરી, મારા દીકરા આપના છે, આપને સોંપ્યા અને આપ જ સાચવજો. ત્યારે સદ્‌ગુરુબાપા બોલ્યા કે, ભગત એમની ચિંતા તમે ન કરશો. આ બહેચર તો પહેલેથી જ અમારો છે. શ્રીજીમહારાજ આ બહેચર દ્વારા ઘણાં મોટાં મોટાં કાર્ય કરશે. આમ આશીર્વાદ આપ્યાં. 


સદ્‌ગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામીબાપાએ સંવત ૧૯૪૬માં શ્રી બહેચરભાઈને ભાગવતી મહાદીક્ષા આપી "શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામી" એવી શુભ નામ ધારણ કરાવ્યું. શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીશ્રી સ્વયં શ્રીજીસંકલ્પસ્વરૂપ હતા છતાં શિષ્ય તરીકેની અનુકરણીય સમજણ દર્શાવતા સદ્‌ગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામીબાપાની સેવામય પ્રવૃત્ત થયા. ગુરુદેવ પ્રત્યેના અપાર પ્રેમભાવથી પ્રસન્ન રહેતા. તેઓશ્રી પારાવાર શ્રદ્ધા અને વિશ્વાસ રાખી દિનરાત ગુરુદેવની સેવા કરતા. સાચા સેવકનું લક્ષણ છે કે તે માત્ર ભગવાન અને તેમના સત્પુરુષની સેવાને જ ઈચ્છે છે. 

સદ્‌ગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામી જીવનપ્રાણ શ્રી અબજી બાપાશ્રીને સદ્‌ગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીનો હાથ સોંપે છે. સદ્‌ગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામીબાપા પોતાના અનુગામી સદ્‌ગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીને આજ્ઞા કરી હતી, જે તમારે વર્ષો વર્ષ ઓછામાં ઓછું એક મહિનો તો કચ્છમાં જીવનપ્રાણ અબજી બાપાશ્રીનો સમાગમ કરવા અવશ્ય આવવું. તો એ આજ્ઞાને શિરોવંદ્ય કરતા. 

નીડર સિદ્ધાંતવાદી સદ્‌ગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીબાપા યોગીવર્ય સદ્‌ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી, શ્રીજીસંકલ્પમૂર્તિ સદ્‌ગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામી જેવા જ મહા સમર્થ. તેમના સમાગમથી, તેમના વચનથી, દષ્ટિથી અને સંકલ્પથી અનેક મુમુક્ષુઓ, શ્રીજીમહારાજની સ્વરૂપનિષ્ઠા અને ધર્મનિષ્ઠા દ્રઢ કરી, છતે દેહે જ, મૂર્તિસુખના ભોક્તા બન્યા હતા. એટલું જ નહિ પરંતુ  નીડર સિદ્ધાંતવાદી સદ્‌ગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીબાપા વચનામૃતના અજોડ જ્ઞાતા અને સમર્થ વક્તા હતા. ગમે તેટલો મહાન શાસ્રજ્ઞ હોય, જ્ઞાની હોય, વિદ્વાન હોય પણ નીડર સિદ્ધાંતવાદી સદ્‌ગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીબાપા સાથે વાદવિવાદમાં ઝાંખો પડી જતો એટલું જ નહિ પરંતુ પોતાની વિધ્વત્તાનું માન કે ઘમંડ ત્યજી હાર કબૂલી લેતો, તેમનું શરણું સ્વીકારી લેતો.

આવા પાવનકારી દિવ્ય અવસરે ભૂમંડળસ્થિત તીર્થોત્તમધામ શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરમાં શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી  મહારાજની અનુજ્ઞાથી મોટેરા સદ્ગુરુ સંતો સદ્‌ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી, સદ્‌ગુરુ શ્રી  સર્વેશ્વરદાસજી સ્વામી, સદ્‌ગુરુ શ્રી મુનિભૂષણદાસજી સ્વામી વગેરે પૂજનીય સંતોએ નીડર સિદ્ધાંતવાદી સદ્‌ગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીબાપાના પ્રાગટ્યનું મહિમાગાન, પૂજન, અર્ચન કરી નીરાજન - આરતી ઉતારી હતી અને  દેશ-દેશ હરિભક્તોએ ઉલ્લાસભેર દિવ્ય દર્શનનો ભક્તિભાવપૂર્વક લહાવો લીધો હતો.

Comments